સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચરણોમાં એક ભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં એક માઈભક્તે મા અંબાના ચરણોમાં 1 કિલો 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. મા અંબાજીના મંદિર પર સુર્વણ શિખરની કામગીરી ચાલી રહી છે. ત્યારે માઈભક્તે આપેલું 48 લાખ રૂપિયા કિંમતનું આ સોનું સુવર્ણ શિખર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં 140 કિ.લો. 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયેલ છે.
શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું કે, આજે તા.10 ઓગસ્ટના રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા મહેન્દ્ર નટવરભાઈ પટેલ અને હર્ષદ નટવરભાઈ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં આપ્યું છે.