જમ્મુ-કાશ્મીરમાં થયેલ ઘાતકી આતંકવાદી હુમલાનો મામલો
આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા
27 નિર્દોષોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવ્યો
દુઃખદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ આતંકી હુમલાની નિંદા કરી
જમ્મુ-કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે. આ દુઃખદ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી છે. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સેયદ, નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ, શકીલ અકુજી સહિતના અગ્રણીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે લોકોએ આતંકવાદના ઘટનાક્રમો પર ઘેરા શોક વ્યક્ત કરી શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
તો બીજી તરફ, ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાનોએ જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લે-કાર્ડ લઈ લોકો જોડાયા હતા. આ સાથે જ આતંકી હુમલાની સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજે નિંદા કરી આતંકીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.