જુનાગઢ જિલ્લામાં કેશોદ એરપોર્ટનો ઉદઘાટન સમારોહ આગામી તા. 16 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જેથી કહી શકાય કે, છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોતા પ્રવાસી અને લોકોની આતુરતાનો અંત નજીક આવ્યો છે, ત્યારે હવે નજીકના દિવસોમાં જ સોરઠમાંથી હવાઈ સેવાનો વર્ષો બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે.
રાજ્ય એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ. 25 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ કરાયુ છે. ઉપરાંત કેશોદ-મુંબઇ-કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે. જે સપ્તાહમાં 3 દિવસ કેશોદ-મુંબઇ-કેશોદ વિમાની સેવાનો લાભ પ્રવાસીઓને મળશે. જેનો ઉદ્ઘાટન સમારોહ આગામી તા. તા. 16 એપ્રિલના રોજ યોજાશે. આ સમારોહમાં કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પરિવહન મંત્રી વી.કે.સીંઘ, રાજ્યમંત્રી દેવા માલમ, સાંસદ રાજેશ ચુડાસમા, સાંસદ રમેશ ઘડુક સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી સોરઠના વેપાર, ઉદ્યોગોની સાથે સાથે સોરઠના પ્રવાસન સ્થળોએ આવતા દેશ- વિદેશના પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે.
હાલ જુનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે, ત્યારે હવે સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન, ગીરનાર રોપ-વે, સોમનાથ મંદિર અને દિવની મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓને વિમાની સેવાનો લાભ મળતો થશે, ત્યારે જુનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપી જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરી લેવા સૂચના આપવામાં આવી હતી.