ખેડા : કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શત્રુંડા ગામે જલજીવન મિશન કાર્યક્રમ યોજાયો
શત્રુંડા ગામની જલજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત હર ઘર નલ નલ સે જલ યોજનાને અંદાજીત કિંમત રૂા. ૩૪.૪૦ લાખની મંજૂરી મળેલ છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામની જલજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત હર ઘર નલ નલ સે જલ યોજનાને અંદાજીત કિંમત રૂા. ૩૪.૪૦ લાખની મંજૂરી મળેલ છે. યોજનાનું અમલીકરણ વાસ્મોના તાંત્રિક નિરીક્ષણ હેઠળ ગ્રામ્ય જળ અને જાહેર સ્વચ્છતા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની મંજૂર યોજનામાં ગામે રૂા. ૧.૫૦ લાખ લીટર ક્ષમતાની ૧૨ મીટર ઉંચા આર.સી.સી. ટાંકી, ૭૫ મીલી મીટરથી ૧૪૦ મીલીમીટર વ્યાસની પીવીસી ૬ કેજી/સે.મી વર્કીંગ પ્રેસર પાઇપલાઇન કુલ ૨૯૦૦ મીટર લંબાઇ તથા ૨૬૪ નળ કનેકશનની કામગીરી આવરી લેવાઇ છે. લોકભાગીદારીવાળી યોજનામાં ૯૦ ટકા ફાળો સરકારનો અને ૧૦ ટકા ફાળો લોકફાળો/શ્રમદાનના રૂપમાં પાણી સમિતિએ આપવાનો છે. આ યોજના અંતર્ગત ૧.૫ લાખ લીટર ક્ષમતાની ટાંકીની ખાતમૂર્હત વિધિ ગ્રામિણ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદહસ્તે રામાપીર મંદિર પાસે સંપન્ન કરવામાં આવ્યો હતો.