સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂતે છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી પંચસ્તરીય મોડલ ફાર્મિંગ કરી એક સિઝનમાં 2 લાખ રૂપિયાની આવક મેળવે છે. આ સાથે જ તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ સ્નાતક સુધી અભ્યાસ કરી છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું FPOના માધ્યથી વેચાણ કરી રહ્યા છે. આ સાથે આસપાસના ગામોના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. જેથી હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું, અને તેની જુદી જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.
ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વીડિયો દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું હતું, અને તેમના કુરુક્ષેત્રના ફાર્મની મુલાકત લીધી, જેથી આ ખેતી પર વિશ્વાસ બેઠો. આ સીવાય મગફળી, શાકભાજી, ઘઉંનુ વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. હાલમાં જીવામ્રુતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી, તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. હાલમાં ખેડૂતે પંચસ્તરીય મોડલ ફાર્મિંગ કર્યું છે. જેમાં તેમણે 20 જેટલા જુદા-જુદા પ્રકારના રોપા વાવ્યા છે. જેમાં અવનવા ફળ સફેદ જાંબુ, સ્ટાર ફ્રુટ, સિંગાપુર ચેરી, સફરજન, પમેલા, રેડ માલ્ટા, પેશન ફ્રુટ, લીચી, આવાકાડો, વોટર રેપલ, ગ્રોસ બેરી, અંજીર, દાડમ,ચીકું, સીતાફળ, બોના નાળિયેર સાથે ભારતીય ગરમ મસાલામાં વપરાતા લવિંગ, ઇલાયચી, જાયફળ, લસણ વેલ, ઓલ સ્પાઇસી, લીંબુ વગેરેના છોડવા ઉછેર્યા છે. પ્રાકૃતિક ખેતીથી તેમની આવકમાં વધારો થયો છે. જમીનની ફળદ્રુપતા વધી છે. સરકાર અને વહિવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને સીધુ માર્કેટ મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રાકૃતિક ખેતી થકી જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે, અને લોકોને શુદ્ધ આહાર મળી રહે છે. અંતે સૌ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રગતિશીલ ખેડૂતે અપીલ કરી છે.