સાબરકાંઠા : હિંમતનગરના ટાવર ચોકની જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાવર ચોકમાં આવેલ જર્જરિત ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે, આ સમયે અહીથી કોઈ પસાર થયું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
હિંમતનગર ખાતે પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત મકાનોને વહેલી તકે ઉતારી લેવા નોટિસો પણ આપવામાં આવી હતી, ત્યારે શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ જર્જરિત ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. જોકે, આ માર્ગ પરથી રોજના હજારો શહેરીજનો પસાર થતા હોય છે, ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ હોય તે પણ લોકોના મનમાં સવાલ ઉદભવ્યો છે.
ઘટના બાદ સાંખલા બિલ્ડિંગના પરિવારજનો અને પાલિકાના ભાજપના કોર્પોરેટરે ફાયર બ્રિગેડને બોલાવી હતી. પાલિકાની ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી લટકતા બોર્ડ અને એસીને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ બિલ્ડીંગની સામે અન્ય એક સરકારી ઇમારત પણ જર્જરિત હાલતમાં છે, ત્યારે તેને પણ વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.