સમસ્ત રાજ્યમાં તા.૧૮ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન આયોજીત આત્મ નિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ યાત્રામાં સહભાગી થનારા જિલ્લાના સંબંધિત વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
વલસાડ જિલ્લામાં આ યાત્રા અંતર્ગત આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધરમપુર તાલુકાના, આસુરા ગામમાં તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ યોજાશે. આ યાત્રામાં જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોના વિસ્તારમાં ૩૦૦ ગામોને આવરી લેવામાં આવ્યા છે. યાત્રા દરમિયાન તમામ વિભાગોના લોકાર્પણ, ખાતમુહર્ત કરવાની સાથે વિવિધ આઇ.ઇ.સી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. યાત્રામાં જિલ્લામાં તમામ તાલુકાને આવરી લે તે માટે વલસાડ અને ઉમરગામ તાલુકામાં એક રથ, પારડી અને વાપી તાલુકામાં એક રથ અને ધરમપુર અને કપરાડા તાલુકા માટે એક રથ મળી કુલ ચાર રથ ફરશે.
આ બેઠકમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, માર્ગ અને મકાન, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર, આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને સહકાર, શિક્ષણ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ માહિતી વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.