વલસાડ : ડહેલી ગ્રામ સચિવાલયના મકાનનું રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
રાજયના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાના ડહેલી ખાતે પંચાયતની સી.ડી.પી.ઓ. યોજનાની રૂ. 22 લાખની ગ્રાન્ટ અને લોકભાગીદારીથી રૂ. 65 લાખના ખર્ચે તૈયાર થયેલા ગ્રામ સચિવાલયના મકાનને આજે ડહેલીના ગ્રામજનો માટે ખુલ્લું મૂકયું હતું.
આ પ્રસગે મંત્રીએ દેશના એકતાના શીલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષમાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળ્યા પછી દેશના 562 રજવાડાઓને એક કરીને દેશમાં એકતાની મિશાલ સ્થાપી હતી જેના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશની આટલી મજબૂત લોકશાહી જીવંત રહી છે. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001થી ગુજરાતમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને ગુજરાતને વર્ષ 2014માં દેશમાં ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યા પછી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના મોડેલને અનુસરી દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસની કેડી કંડારી છે તેવી જ રીતે ગુજરાત રાજયમાં પણ છેવાડાના માનવીને તેમના લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આ પ્રસંગે ગ્રામ સચિવાલય માટે જમીન આપનારા ગામના દાતાઓ ઉમાશંકર જોશી પરિવારનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત આ મકાનના નિર્માણ માટે રૂ. 11 લાખનું દાન આપનાર સ્ટ્રાટા જીઓ સિસ્ટમ ઇન્ડિીયા પ્રા. લી. તેમજ અન્ય દાતાઓનો આ તબક્કે મંત્રીએ આભાર માની આજ પ્રમાણે ગામમાં એકતા રાખી ગામનો વિકાસ કરવા માટે અનુરોધ કર્યો હતો.