કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, બે સ્થળોએ ચાલી રહ્યા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર
કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરમાં બે સ્થળોએ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ કુલ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. કુલગામમાં લશ્કરના બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, જ્યારે પુલવામામાં પણ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
તમને જણાવી દઈએ કે હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીના મોતને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. 8 જુલાઈ, 2016ના રોજ કોકરનાગમાં બુરહાન વાનીની હત્યા કરાઈ હતી. ત્યારથી દર વર્ષે આતંકવાદીઓ 8મી જુલાઈએ હુમલો કરવાની તૈયારીમાં છે, પરંતુ આવું કોઇ પગલું ભરતા પહેલા સેનાએ પોતાનું કામ પૂરું કર્યું.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સેના સાથેના એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો હતો. આ માહિતી પોલીસે આપી હતી. આ ઘટના અંગેની માહિતી આપતાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે કુપવાડા જિલ્લાના ગેંડર્સ વિસ્તારમાં વાતેન ખાતે વાહનોની નિયમિત ચેકિંગ દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીન જૂથના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદને પકડવામાં આવ્યો હતો.
પ્રવક્તાએ કહ્યું કે, "તેમની વ્યક્તિગત તપાસ દરમિયાન તેમની પાસેથી એક ગ્રેનેડ મળી આવ્યો હતો. તે મુજબ, તેને તાત્કાલિક નજીકની પોલીસ ચોકી પર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ તરીકે જાહેર કર્યું હતું, જે પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો એક સક્રિય આતંકી કમાન્ડર હતો."