Connect Gujarat
દેશ

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસનું ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ થયું લોક, જાણો શું છે સમગ્ર મામલો

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસનું ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ થયું લોક, જાણો શું છે સમગ્ર મામલો
X

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લૉક થવાની ઘટના બાદ ગુરુવારે કૉંગ્રેસ પાર્ટીનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પણ લૉક થઈ ગયું છે. આ જાણકારી કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. આ સાથે જ પાર્ટીએ સ્ક્રિનશૉટ પણ શેર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તે ફરી જીતશે. સાથે જ પાર્ટીએ ફેસબુક પર પણ લખ્યું છે કે, "અમે લડીશું, લડતા રહીશું."

કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર આ અંગે લખ્યું છે. કૉંગ્રેસ પાર્ટીએ લખ્યું છે કે, "જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે ડર્યાં ન હતા. ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ખાક ડરીશું. અમે કૉંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, અમે લડતાં રહીશું." વધુમાં લખ્યું છે કે, "જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવો ગુનો છે તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિન્દ...સત્યમેવ જયતે."

ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "રિમાઇન્ડર: કૉંગ્રેસ પાર્ટીએ આપણા દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. ફક્ત સત્ય, અહિંસા અને લોકોની ઇચ્છાથી પરિપૂર્ણ. અમે ત્યારે પણ જીત્યા હતા, અમે ફરીથી જીતીશું."


ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નાંગલ વિસ્તારમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીની ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. રાહુલ પીડિતા છોકરીના પરિવારને મળવા ગયા પછી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર છોકરીનાં માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઈ ગઈ હોવાનો દાવો કરીને એક વકીલે દિલ્હી પોલીસને રાહુલ સામે એફઆઈઆર નોંધવા અરજી આપી હતી.

આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાની માગણી સાથે ટ્વિટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે, કોઈ પણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો)ની કલમ 23નું ઉલ્લંઘન છે. આ ફરિયાદના પગલે ટ્વિટરે રાહુલ ગાંધીના એ વિવાદિત ટ્વીટને હટાવી દીધું હતું.

જોકે, ટ્વિટર તરફથી રાહુલ ગાંધીના એકાઉન્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવાના સમાચાર વચ્ચે કૉંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો છે કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક માનિકરામ ટાગોર, આસામ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તથા મહિલા કૉંગ્રેસ અધ્યક્ષા સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે.

Next Story