જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત ચાર આતંકવાદીને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો હતો. હાલ પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આ મામલે વાત કરતા કાશ્મીરના આઈજીપીએ કહ્યું હતું કે અમે ગઈકાલે રાત્રે 4-5 જગ્યાએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં એક પાકિસ્તાની સહિત જૈશના 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે ગાંદરબલ અને હંદવાડામાં લશ્કરનો 1 આતંકવાદી માર્યો ગયો છે, આ સિવાય અમે એક આતંકવાદીની ધરપકડ પણ કરી છે. તેમણે કહ્યું કે હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટર ઓપરેશન પૂરું થઈ ગયું છે.10 માર્ચે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નૈના બાટપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા અને પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૌયબા (LeT)ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સૂચનાના આધારે કાર્યવાહી કરીને સુરક્ષા દળોએ સોપોરના રફિયાબાદના નદીહાલ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૌયબાના એક આતંકવાદીના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે.