ઝઘડિયાઃ પિયરમાં આવેલી દીકરીને થયો ડેન્ગ્યુ, માતા પણ આવી ચપેટમાં
ઝઘડિયામાં ડેન્ગ્યુનો પગ પેસારો, સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું
ઝઘડિયા તાલુકાનાં નાના સાંજા ગામે બે હિલાઓને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું છે. જેના કારણે ઝઘડિયામાં ડેન્ગ્યુનો પગ પેસારો જોવા મળતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જ્યારે ડેન્ગ્યુની ચપેટમાં આવેલી એક જ પરિવારની મહિલાઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાલ વરસાદી માહોલ સાથે વાતાવરણમાં અનેક ફેરફારો આવી રહ્યા છે. જેના પગલે વાયરલની નાની મોટી બિમારીઓ ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકામાં ડેન્ગ્યુએ પગપેસારો કર્યો હોય તેવા બે કેસ સામે આવ્યા છે. જોકે હાલમાં તો એક જ પરિવારની માતા-પુત્રીને ડેન્ગ્યુ થયાનું નિદાન થતાં હાલ સારવાર અપાઈ રહી છે. જેમાં નાના સાંજા ગામે રહેતા દિનેશ પુરોહિતનાં પત્ની જયશ્રીબહેન તથા પુત્રી હિરલબહેન જેના લગ્ન અંકલેશ્વર ખાતે થયા છે. પરંતુ થોડા દિવસ પહેલાં પિયરમાં રહેવા આવેલી હિરલ પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી છે.
સાસરીમાંથી હિલરબહેન ચાર-પાંચ દિવસ પહેલાં પિયરમાં રહેવા આવી હતી. જેની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડી હતી. બાદમાં તેની માતા જયશ્રીબહેનની પણ તબિયત લથડતાં તેમને પણ સારવાર અર્થે લઈ જવાયા હતા. દરમિયાન બન્ને માતા-પુત્રીનાં બ્લડ સેમ્પલ લઈને ભરૂચ ખાતે લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતાં બન્નેને ડેન્ગ્યુની અસર થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેના પગલે પરિવારજનોમાં દોડધામ મચી હતી. બન્નેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ બાબતની જાણ સ્થાનિક આરોગ્ય તંત્રને થતાં તેમાં પણ દોડધામ મચી હતી.