રાજકોટ : ખેડૂતોએ રસ્તા પર ફેંકી શાકભાજી, લોકડાઉનના કારણે પૂરો ભાવ ન મળતા નોંધાવ્યો વિરોધ
હાલ દેશભરમાં કોરોના વાયરસને લઈને લોકોડાઉનમાં લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા, ત્યારે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વધારે મુશ્કેલી
ભોગવવાનો વારો આવ્યો છે.
રાજકોટ સહિતના આસપાસના ગામમાંથી પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજી વેચવા ખેડૂતો તો આવે છે, પરંતુ હાલ લોકડાઉનના કારણે માલ ખૂબ જ ઓછો વેચાઈ રહ્યો છે. જેથી તેમને આર્થિક
મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવતા ખેડૂતોમાં પણ
આક્રોશ જોવા મળ્યો હતો. કોથમીર અને કોબી સહિતની શાકભાજીનો ભાવ 5 રૂપિયાથી 10 રૂપિયા કિલો જેટલી નજીવી કિંમત મળતા તેઓ પોતાનો પાક રોડ પર ફેંકવા મજબૂર
બન્યા હતા. ખેડૂતોએ જણાવ્યુ હતું કે, હાલ જે ભાવ મળે છે તે પ્રમાણમાં તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નથી નીકળી શકતો. જો આ પ્રકારની જ પરિસ્થિતી રહેશે તો તેમને વધારે મુશ્કેલીઓ ભોગવવી પડશે, ત્યારે ઓછા ભાવને લઇને રોષે ભરાયેલા ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.