ગતરોજ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ઐતિહાસિક હારે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી સર્જી છે. મેચમાં હાર પછી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની બાકી બચેલી 4 મેચ કોઈપણ સ્થિતિમાં જીતવી જ પડશે. નહીંતર સેમી-ફાઈનલમાં પહોંચવા પર એની ટક્કર ઇંગ્લેન્ડ સાથે થઈ શકે છે. જેને હાલ ટી-20 ક્રિકેટમાં હાર આપવી મુશ્કેલ છે.
જોકે, ગ્રુપમાં પાકિસ્તાન સિવાય ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડની ટીમ છે. જો પરંપરાગત રીતે જોવામાં આવે તો બન્ને એસોસિયેટ દેશો નામીબિયા અને સ્કોટલેન્ડની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સરળતાથી જીતી જશે. એટલે કે, આ મેચમાં ત્રણે ટીમને 2-2 પોઈન્ટ મળશે, એ નક્કી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચની વાત કરવામાં આવે, તો ત્રણે ટીમની હાર કે, જીત મેચના દિવસે તેમના પર્ફોર્મન્સ પર નિર્ભર કરશે. કારણ કે, અફઘાનિસ્તાનની ટીમ ટી-20 ક્રિકેટમાં કોઈપણ ફેરફાર કરી શકે છે. આપણે માની લઈએ કે, અફઘાનિસ્તાનથી પણ ત્રણે ટીમ પોતપોતાની મેચ જીતી લેશે, તો ગ્રુપમાં પાકિસ્તાન 8 પોઈન્ટની સાથે ટોપ પર રહેશે.
તો બીજી તરફ ભારત-ન્યૂઝીલેન્ડ 6-6 પોઈન્ટની સાથે બીજા નંબર પર રહેશે. ભારતે સેમી-ફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડને હરાવીને પોતાના 8 અંક કરવા પડશે. સાથે જ એવી આશા રાખવી પડશે કે, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે પણ જીતી જાય. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બીજા નંબર પર રહીને સેમી-ફાઈનલની ટિકિટ પ્રાપ્ત કરી લેશે. જો ભારત પોતાના ગ્રુપમાં બીજા નંબરે રહે, તો સેમી-ફાઈનલમાં તેનો સામનો ઈંગ્લેન્ડની સાથે થશે. એવામાં તેના માટે ફાઈનલ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તો બીજી તરફ જો સેમી-ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા કે દક્ષિણ આફ્રિકા સામે રમવાનું થશે તો તે મેચ જીતવાની શક્યતા વધુ રહેશે.