Connect Gujarat
Featured

વડોદરા : પેટાચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ આવ્યા મેદાને

વડોદરા : પેટાચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ આવ્યા મેદાને
X

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની 8 પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચ્યો છે, ત્યારે બેઠકો પર કબજો મેળવવા માટે ભાજપા અને કોંગ્રેસ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. જેમાં આજે 147-કરજણ બેઠક સહિત ગુજરાતની 8 બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

વડોદરા જિલ્લાના કરજણમાં વિજય સંકલ્પ સભામાં જતાં પૂર્વે વડોદરા વિમાની મથકે રાજીવ સાતવે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, પેટાચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી ગવર્નર બનશે કે, પ્રભારી બનશે તે એક મોટો સવાલ છે. ગુજરાતની તમામ 8 પેટાચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજીવ સાતવે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટાચૂંટણી ભાજપાના કારણે આવી છે. ભાજપાની ધારાસભ્યોની ખરીદદારીના કારણે આજે ગુજરાતની પ્રજામાં ભારે રોષ છે. ગુજરાતની પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા હતા. પરંતુ, ભાજપાએ ધારાસ્યોની ખરીદદારી કરવાના કારણે ચૂંટણી અઢી વર્ષમાં આવી છે. પરંતુ, હવે ભાજપાના વળતા પાણી છે. ભાઇ અને ભાઉની લડાઇમાં કાકા પરેશાન છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયો છે.

નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની ઘટના જો બનતી હોય તો સામાન્ય વ્યક્તિની સુરક્ષા અંગે પ્રશ્ન છે. તેવો કટાક્ષ કરી વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની તમામ 8 બેઠકો ઉપર વિજય મેળવશે. ગુજરાતની પ્રજા પેટાચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવી ભાજપાને જવાબ આપશે, ત્યારે વડોદરા વિમાની મથકે આવી પહોંચેલા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story