વડોદરા: સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મુર્તિનો શિવરાત્રી પહેલા જ શહેરીજનોએ માણ્યો નજારો
વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે.
વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે.આ મૂર્તિનું શિવરાત્રી પર અનાવરણ કરવાનું આયોજન છે. હાલ આ મૂર્તિ પર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું છે. જો કે સુસવાટા મારતા પવનના કારણે આજે મૂર્તિ પરનું સફેદ કાપડ ફાટી ગયું હતું. અને અનેક શહેરીજનોએ સુવર્ણજડિત શિવજીના દર્શન કર્યા હતા.
વડોદરાના મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે. જે પોતે એક અલગ ઇતિહાસ ધરાવે છે. થોડાક વર્ષો પહેલા શિવભક્ત ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સુરસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદેશી શિવભક્તોનો સાથ મળતા કામગીરીએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. પરંતુ આ મૂર્તિનું અનાવરણ શિવરાત્રીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાના કારણે હાલ તેના પર સફેદ કાપડ ઓઢાડી દેવામાં આવ્યું છે. પણ વતવારણને કઈ અલગ જ મંજુર છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં સુસવાટા મારતા પવનનો અનુભવ થઇ રહ્યો છે. જેને કારણે સર્વેશ્વર મહાદેવ પર લગાડવામાં આવેલું કાપડનું આવરણ ફાટી ગયું છે અને રાહદારીઓને આજે શિવજીના સુવર્ણજડિત મુખારવિંદના દર્શન થયા હતા. રાહદારીઓના મતે જો શહેરની હવા સાથ આપે તો સુવર્ણજડિત શિવજીના સંપૂર્ણ દર્શન થઈ શકે તેમ છે. આવનાર સમયમાં શિવજીની મૂર્તિ ફરી નવેસરથી ઢાંકી દેવામાં આવે છે કે પછી હવા સાથ આપે છે તે જોવું રહ્યું.