Connect Gujarat
વડોદરા 

વડોદરા: નિતિન ગડકરીની અધ્યક્ષતામાં સેવા અને સમર્પણના સંવેદનાસભર કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીનો જન્મ દિવસ ઉજવાયો

વડોદરા: નિતિન ગડકરીની અધ્યક્ષતામાં સેવા અને સમર્પણના સંવેદનાસભર કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીનો જન્મ દિવસ ઉજવાયો
X

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રધાનમંત્રીના જન્મ પર્વની ઉજવણીના સંવેદનાસભર અને કરુણાસભર કાર્યક્રમમાં ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ગંગા સ્વરૂપા બહેનોને સરકારી સહાય અને દિવ્યાંગજનોને સક્ષમતા પ્રદાન કરતા કૃત્રિમ અવયવોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સાંસદ રંજનબહેન, મેયર કેયુર રોકડીયા, પૂર્વ મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો અને પ્રદેશ સંગઠનના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને પદાધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ અને ભાર્ગવ ભટ્ટે ગડકરીજીનું શાલ ઓઢાડી અને મેમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું. મંત્રીનું પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 271 ગંગા સ્વરૂપા બહેનોને સરકારી પેન્શન સહાયના આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસદ રંજનબહેન ભટ્ટના અનુદાનમાંથી દિવ્યાંગોને કૃત્રિમ અવયવો આપવામાં આવ્યા હતા. સંગઠન ટીમે ગંગા સ્વરૂપા બહેનોને સરકારી મદદ અપાવવાના સમગ્ર કામનું સંકલન કર્યું હતું.

આપણે સહુ સર્વ શક્તિથી અને સમર્પણના ભાવ સાથે એકવીસમી સદીમાં ભારતને વિશ્વગુરુ બનાવવાના, એક નંબરનું રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવામાં દિલથી અને પૂર્ણ સામર્થ્યથી યોગદાન આપીએ એવો સહુ કાર્યકર્તાઓને અનુરોધ કરતા ભારત સરકારના મંત્રી ગડકરીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતને એક નંબરની તાકાત બનાવવીએ વિસ્તારવાદી નીતિ નહિ સહુને સમાન તકો આપતાં સમભાવી વિશ્વના સર્જનની કલ્પના છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને નીતિમત્તાને જાળવીને આધુનિક ટેકનોલોજીના વિનિયોગથી દેશને અભૂતપૂર્વ વિકાસના પંથે લઇ જઇ રહ્યા છે.

આજે આપણે ખૂબ ઉત્સાહથી નરેન્દ્રનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે, તેમણે સંઘના પ્રચારક તરીકે દેશને જીવન સમર્પિત કર્યું અને સેવાની રાજનીતિ, રાષ્ટ્ર કારણ અને સમાજ કારણના માર્ગે દલિતો, પીડિતો અને શોષિતોના કલ્યાણ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા કેળવી તેનો ઉલ્લેખ કરતાં ગડકરીએ જણાવ્યું કે તેઓ ભય, ભૂખ અને આતંકથી મુક્તિને અગ્રતા આપીને મૂલ્ય આધારિત રાજનીતિથી દેશનું ઘડતર કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે હાલમાં ગ્રીન હાઈડ્રોજન પર કામ થઈ રહ્યું છે. ભારતને ઊર્જા આયાત કરનારા દેશમાંથી ઊર્જાની નીર્યાત કરનારો, ગ્રીન હાઈડ્રોજનની નિકાસ કરનારો દેશ બનાવવાની દિશામાં આપણે અગ્રેસર છે.

તેમણે પંડિત દીનદયાળ, શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી બાજપાઈ જેવા પૂર્વ સુરીઓએ બતાવેલા મૂલ્ય આધારિત રાષ્ટ્ર નિર્માણના માર્ગને અનુસરવાની હિમાયત કરી હતી. તેમણે જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરીને દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર ભાર મૂક્યો હતો અને શહેર ભારતીય જનતા પાર્ટીને સેવા સમર્પણના કાર્યક્રમો આયોજનો દ્વારા પ્રધાનમંત્રીનો જન્મ દિવસ ઉજવવા માટે અભિનંદન આપ્યા હતા.

શહેર પક્ષ અધ્યક્ષ ડો. વિજય શાહે જરૂરિયાતમંદોની સહાયતા દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની વ્યાપક ઉજવણીની રૂપરેખા આપી હતી. સાંસદ રંજનબહેન ભટ્ટે આભાર દર્શનમાં કાર્યક્રમની લાભાર્થી બહેનોને પ્રધાનમંત્રી જન્મ દિવસની ભેટ રૂપે સાડીઓ આપવાના સૌજન્યની ઘોષણા કરી હતી.

Next Story