વડોદરા: વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવી યુવાનનો આપઘાત, મૃતદેહ મગરો ખેંચી ગયા

જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું

New Update

વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પરથી સોમવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં મોતની છલાંગ લગાવનાર યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી હતી. વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા રાત્રે તપાસ હાથ ધરાઈ હતી. જોકે તેને શોધવામાં સફળતા મળી નહોતી.

નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી મંગળવારે સવારે ફરી શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મૃતકનાં ભાભીના જણાવ્યા મુજબ રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પાસે નોકરી કરતો હતો. તેણે એક દિવસની રજા લઈને શેઠ પાસેથી રૂ.500 લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન તેના ભાઈની નજર પડતાં ક્યાં જાય છે તેમ પૂછ્યું હતું. રવિએ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઇલ આપી ઘરે આવું છું, એવું કહીને ગયા બાદ નદીમાં ભૂસકો માર્યો હતો. જોતજોતામાં તેને મગરો ખેંચી ગયા હતા. તેણે પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા મળ્યું નથી.