સુરત : મનપાનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર, RTIમાં થયો “પતરા કૌભાંડ”નો ખુલાસો
સુરત શહેરમાં મનપાના એકબાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. કચરા પેટી, ખીચડી કૌભાંડ બાદ હવે પતરા કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે. ગત તા. 4 જુલાઈના રોજ કોરોનાના કાળ દરમ્યાન કસ્ટર અને કન્ટેન્મેન્ટ ઝોનમાં પતરા બાંધવામાં આવ્યા હતા. જેમાં કેટલો ખર્ચ થયો એ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટે માહિતી માંગતા સેન્ટ્રલ ઝોન દ્વારા માહિતી આપવામાં આવી હતી. તા. 4 જુલાઈ સુધીમાં કસ્ટર અને કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત સેન્ટ્રલ ઝોનની વિગતો બહાર આવી હતી જેમાં 25 લાખના પતરા અને મંડપનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે. તા. 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી મુજબ રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા હતા. જેમાં 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણવામાં આવ્યો હતો. પરંતુ મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટના ચૂકવાયા હતા. જોકે એ.એમ.ટપાલી મંડપના કોન્ટ્રાક્ટરને 9 એપ્રિલથી 10 જૂનના રૂપિયા 6,92,292 ચૂકવાયા હતા. ઉપરાંત સુવિધા કેટરર્સને અલગ અલગ બીલથી નાણાં ચૂકવાયા હતા. માનપાએ એક દિવસનો પતરાનો ચાર્જ આશરે 5 હજાર જેટલો ચૂકવ્યો હતો. જોકે એક જ દિવસમાં બિલો બનતા અનેક શંકા ઉભી થઈ છે. માત્ર સેન્ટ્રલ ઝોનનો ખર્ચ RTIમાં બતાવવામાં આવ્યો છે, જ્યારે તમામ 7 ઝોનમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.