૨૦% વધારો ન આપે તો હિંમતનગરમાં સાબરડેરી ખાતે ઉપવાસની ચીમકી
સાબરડેરી ડેરી ચેરમેનના પુતળાનું દહન કરાયું
સાબરકાંઠા જીલ્લા અને અરવલ્લી જિલ્લાની ૨૦૦૦ થી વધારે દૂધ મંડળીમાં ૧૪ લાખથી વધારે પશુપાલકો જોડાયેલા છે. ત્યારે દૂધના ભાવ વધારવા મુદ્દે પશુપાલકો ઉગ્ર આંદોલનના મૂડમાં છે. જેમાં ગાંધીચિંધ્યા માર્ગે ગામે ગામે વિરોધ પ્રદશન શરૂ થયુ છે. જેમાં ખેડબ્રહ્માના ૩૦૦૦ હજારથી વધારે પશુપાલકો દ્વારા દૂધના ભાવ વાધારના વિરોધમાં વિશાળ સભા યોજવામાં આવી હતી.
જેમાં સાબરડેરી ડેરી ચેરમેનના પુતળાનું દહન કરાયું હતુ. આ બાબતે સાબરડેરી કસ્ટડીયન કમિટીના પ્રમુખે ૨૦ જેટલા અગ્રણીઓને સાથે રાખી ૬.૫%ના ભાવ વધારાની જાહેરાત કરી હતી. આ વધારો પશુપાલક સમિતી અને ખેડૂતોએ ફગાવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક ૧૦ થી ૧૨%ના ધોરણે વધારો આપવામાં આવતો હતો. જોકે આ વખતે સાબરડેરીએ માત્ર ૬.૫% ભાવ વધારો જાહેર કરતા પશુપાલકોમા રોષ વ્યાપો છે. સૌથી મહત્વની બાબત એ છે કે દિન પ્રતિદિન પશુપાલકો એક થઈ તાલુકા તેમજ જિલ્લામાં સંલગ્ન અધિકારીઓને આવેદન પત્ર આપી રહ્યાં છે.
જો આગામી દિવસોમાં દૂધનો ભાવ વધારો નહિ આપવામાં આવે તો હજુ આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે તેમ પશુપાલકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સાબરડેરીના સત્તાધીશો સાથે કિસાન સંઘની પણ મિલીભગતના આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે. તેમજ ૨૦% વધારો ન આપે તો હિંમતનગરમાં સાબરડેરી ખાતે ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.