ભરૂચ: કાસદ કચરા કૌભાંડમાં હવે કોંગ્રેસ મેદાનમાં
નગર પાલિકા પ્રમુખે હાથ ઉંચા કરી દીધા
કાસદ કચરા કૌભાંડમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખે ધરાર
પોતાના હાથ ઊંચા કરી દઈ પોતે કાંઇ જ ન જાણતા હોવાનો ખુલાસો કર્યો હતો. પાલિકા
પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કચરા કૌભાંડમાં કાંઈ પણ બોલવાની ના પાડી મુખ્ય અધિકારી
જ બધુ જાણે છે તેમને જ પુછી લો તેમ કહી પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લીધા
હતા.
આ સમગ્ર મામલે વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદે જણાવ્યું
કે, ભરૂચ નગરપાલિકા કાસદ ગામ ખાતે ગૌચરની
જમીનમાંથી માટી ચોરીના કૌભાંડને છાવરવા કચરો ઠલવાતો હોવાના અહેવાલ બહાર આવતા જ
માટીચોરીનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. ત્યારે આ માટીચોર કોણ અને તેમાં કોણ કોણ
સંડોવાયેલું છે તેવા યક્ષ પ્રશ્ન ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા કૌભાંડની તટસ્થ તપાસ
થાય તે જરૂરી છે. એટલું જ નહીં પાલિકાએ પણ કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વિના કચરો
ઠાલવી ભ્રષ્ટાચારને છાવરવાની ભૂમિકા ભજવી છે એટલે તેમાં પણ તપાસ કરી કાયદેસર પગલાં
લેવાય તેવી અમારી માંગ છે.
ભરૂચ નગર પાલિકાના ભ્રષ્ટાચારમાં મોડે-મોડે સફાળી
જાગેલી કોંગ્રેસે કચરા કૌભાંડમાં આકરા તેવર અપનાવ્યા છે. પાલિકાની વિપક્ષી ટીમ
સ્થળ મુલાકાત લઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરશે તેવો હુંકાર પાલિકાના સભ્ય
હેમેન્દ્ર કોઠીવાલાએ કર્યો છે.