અમદાવાદ : ગુજરાતના જાણીતા સંતોને મળ્યું રામ મંદિરની શિલાન્યાસ વિધિનું આમંત્રણ
અયોધ્યામાં બુધવારના રોજ થનારા રામમંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા માટે ગુજરાતના સાત જેટલા સંતો મંગળવારે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે.
અયોધ્યામાં બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરની ભૂમિપૂજનની વિધી કરશે. ગુજરાતનાં 7 થી 10 જેટલા સંતોને રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે યોજાનાર શિલાન્યાસ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામા આવ્યુ છે. ગુજરાતનાં 7 સંતો આજે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે. ગુજરાતમાંથી આમંત્રિત સંતોમાં સારસના અવિચલ દાસજી, રાજકોટના પરમાત્માનંદજી, પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણમનીજી મહારાજ, ઝાંઝરકાના શંભુનાથજી મહારાજ, છારોળી ગુરૂકુળના માધવપ્રિયદાસજી અને અમદાવાદના અખિલેશ્વરદાસજી મહારાજનો સમાવેશ થવા જાય છે. આચાર્ય સભા તરફથી 7 કિલો સોનુ અને ચાંદી અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટં ને ભેટ આપવામા આવશે.
અવિચલ દાસજીએ જણાવ્યું હતું કે, રામ મંદીર આંદોલન હવે સફળતાં તરફ જઇ રહ્યુ છે. અનેક સંતોને આમંત્રણ મળ્યું છે. અમને પણ આમંત્રણ મળ્યું છે. આ આનંદનો કોઈ પાર નથી. હિન્દુ સમાજને અપમાનિત કરવા અને નબળો કરવો એ એક ષડયંત્ર હતુ. આઝાદી બાદ પણ આવી સ્થિતિ હતી. હવે સમય બદલાયો છે. હવે અમને એવું લાગે છે કે અમે અમારાં દેશમાં જીવીએ છીએ. પરમાત્મનાથજી સરસ્વતીએ જણાવ્યું હતું કે, રામ ભારતીય સંસ્કૃતિનાં આદર્શ છે. આંદોલનો ઘણા થયાં પણ જ્યાં સુધી રાજકીય ઇચ્છા શક્તિ ન હોય ત્યાં સુધી ન થાય. એ માટે હાલનાં રાજકીય નેતાઓને અભિનંદન આપીએ છીએ.