અમદાવાદ:નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોતના મામલામાં પોલીસે 3 લોકોની કરી ધરપકડ
એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા..
અમદાવાદમાં એસ્પાયર-2માં લિફ્ટ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને હાહાકાર મચી ગયો છે અને હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસની પ્રથમ મોટી કાર્યવાહી સામે આવી રહી છે. જેમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી તપાસ તેજ બનાવી છે.આ દુર્ઘટનામાં પોલીસ તપાસમાં કોન્ટ્રાકટરો સેફ્ટી વિના સાઇટ પર શ્રમિકો પાસે કામ કરાવી હોવાનો પર્દાફાશ પણ થયો છે. જેને લઇને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હોવાનું ચોંકાવનારુ કારણ સામે આવ્યું છે.
ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને તપાસનો ધમધમાટ હાથ ધરી કોન્ટ્રાક્ટર સૌરભ શાહને દબોચી લીધો હતો. જ્યારે આ પ્રકરણમાં પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને નૈમિશ પટેલને પણ કસૂરવાર ગણી ત્રણેયને ઉઠાવી લેવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા..
જેમાં સાતનાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતાં જ આઠેય શ્રમિક એક સાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પર તૂટી પડી હતી. નેટ તૂટતાં 8મા માળે થી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પટકાયા હતા.