ઓમિક્રૉન વેરિયન્ટના ખતરાને જોતા કેન્દ્રની સૂચનાના આધારે તા. 31 ડિસમ્બર માટે ગુજરાત સરકાર કેટલાક નિયંત્રણ લગાવે તેવી શક્યતા વર્તાય રહી છે. ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઇ શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા વધી છે. રાજ્યમાં ઓમિક્રૉનના કેસ વધીને 30 પહોંચી ગયા છે અને ભારતમાં આ નવો વેરિયન્ટ ખૂબ તેજીથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વધતાં કેસને લઈને અનેક રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના તમામ રાજ્યો અને કડક નિયમો લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા. ગઇકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પણ હાઇલેવલ મીટિંગ કરીને કેટલાક આદેશ આપ્યા છે, ત્યારે દિલ્હી, મધ્યપ્રદેશ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં કડક નિયમો તો લાગુ પણ થઈ ગયા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ 31st માટે કડક નિયમો જાહેર કરવામાં આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે. ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં કેટલાક નવા નિયંત્રણોની જાહેરાત કરી શકે છે. તા. 31 ડિસેમ્બરે જાહેરમાં થતી ઉજવણી પર નિયંત્રણ લગાવવામાં આવી શકે છે. સાથે જ હોટલ તથા રેસ્ટોરન્ટને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવી શકે છે.