નર્મદા નદીમાં આવેલા પુરની વચ્ચે ગુરૂવારના રોજ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. વહીવટીતંત્રએ કરેલા આયોજન મુજબ પીઓપીની ગણેશ પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનું રહેશે જયારે નીલકંઠેશ્વર ઘાટ ખાતે માત્ર માટીની પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવશે.
ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં વરસાદ અને પુરના માહોલ વચ્ચે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરૂવારના રોજ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. હાલ નર્મદા નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી હોવાથી વિસર્જનને અનુલક્ષી વહીવટી તથા પોલીસ તંત્ર સાબદુ બની ગયું છે. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે માત્ર 5 ફૂટની ઉંચાઇ સુધીની માટીની બનેલી પ્રતિમાઓને વિસર્જીત કરવા દેવામાં આવશે. પીઓપીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. 5 ફૂટથી વધારે ઉચાઇની પ્રતિમાઓના વિસર્જન માટે ભાડભુત ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં નર્મદા નદી 31 ફૂટની સપાટીને પાર કરી ચુકી હોવાથી વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં તંત્ર તરફથી ભરવામાં આવી રહયાં છે. ગણેશ મંડળો સાથે અગાઉ બેઠક યોજી તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.