બનાસકાંઠા: ટીંબાચુડી ગામમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા જળ સંચયનું અનોખુ સ્ટ્રક્ચર,જુઓ કેમ થઈ રહી છે રાજ્યભરમાં પ્રસંશા

બનાસકાંઠાના ટીંબાચુડીના ગ્રામજનોનું અભિયાન, ભૂગર્ભ જળ સમૃધ્ધ બનાવવા અનોખુ સ્ટ્રક્ચર તૈયાર કર્યું

Update: 2022-07-02 07:10 GMT

બનાસકાંઠાના ટીંબાચુડી ગ્રામજનોએ સામુહિક ધોરણે નવતર પ્રયોગ કર્યો છે. જો ગામમાં એક ઈંચ વરસાદ થશે તો અંદાજે 7 લાખ 62 હજાર લીટર વરસાદી પાણીનો જળ સંગ્રહ થાય તેવું અનોખું જળ સંચય સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે.

આ છે બનાસકાંઠાનું ટીંબાચુડી ગામ જ્યાં ગ્રામજનોએ સામુહિક પ્રયાસ કરી ચોમાસામાં વહી જતુ વરસાદી પાણીને જમીનમાં ઉતારી, જૂના અવાવરુ કુવા અને બોરને રિચાર્જ કરી ભુગર્ભ જળ ઉંચા લાવવાની નેમ લીધી છે. આ જળ સંચય અભિયાનને તેમણે પોતાના ગામ પુરતું જ નહીં પણ આજુબાજુના 20થી 25 ગામમાં અલગ અલગ ટીમ બનાવી, ગામલોકો સાથે મિટિંગો કરીને ભુગર્ભ જળ ઉંચુ લાવવા માટે સમજાવી રહ્યા છે.ગ્રામજનો દ્વારા 30 જેટલા કૂવા રિચાર્જ કરવામાં આવ્યા છે અને તેના દ્વારા ભૂગર્ભજળ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ટીંબાચુ઼ડી ગ્રામજનોએ કરેલ શુભ શરુઆતમાં સરકારે પણ સહયોગ કર્યો છે. આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી છે તથા ગ્રામજનોએ અઢી લાખ ફાળો ભેગો કર્યો છે. આમ કુલ રૂ. ૭.૫૦ લાખના ખર્ચથી ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.

ટીંબાચુડી ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા જયસંચય અભિયાન અંગે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યુ હતું કે ગ્રામજનોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવાનું અભિયાન શરુ કર્યુ છે જે અદ્રિતિય છે.

ગુજરાત સરકારના સુઝલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે ટીંબાચુ઼ડી ગ્રામજનોએ પણ "સહકારીથી સિદ્ધી"ના સુત્રને અનુસરીને આ ભુગર્ભ જળ ઉંચા લાવવાનું અભિયાન આદર્યુ છે.

Tags:    

Similar News