ભરૂચ: સિટી બસ સેવા મામલે રિક્ષા ચાલકોની હડતાળ

ન.પા.બહારના વિસ્તારમાં ફરતી સિટી બસ અટકાવી મુસાફરોને ઉતાર્યા.

Update: 2021-07-28 08:02 GMT

ભરૂચમાં સિટી બસ સેવા મામલે જય ભારત રીક્ષા એશો. દ્વારા આજથી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ન.પા. બહારના વિસ્તારમાં ફરતી સિટી બસને અટકાવી રિક્ષા ચાલકોએ મુસાફરોને નીચે ઉતાર્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ રિક્ષા ચાલકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં તાજેતરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેને મુસાફરોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જો કે રોજીરોટી છીનવાય જવાના ભયે રિક્ષા ચાલકો સિટી બસ સેવાની વિવિધ નીતિનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે તંત્રમાં અગાઉ અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જય ભારત ઓટો રીક્ષા એશો.દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારની બહાર ફરતી સિટી બસ રિક્ષા ચાલકોએ અટકાવી મુસાફરોને નીચે ઉતાર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ પ્રદર્શન કરી રહેલ રિક્ષા ચાલકોની પોલીસે અટકાયત કરી હતી. રિક્ષા ચાલકોની હડતાળના પગલે ભરૂચના રાજમાર્ગો જાણે સૂમસામ ભાષી રહ્યા હતા. રિક્ષા ચાલકોએ જણાવ્યુ હતું કે તેઓ દ્વારા સિટી બસ સેવાનો વિરોધ નથી કરવામાં આવી રહયો પરંતુ નગર પાલિકા હદ વિસ્તારની બહાર ફરતી બસ બંધ થઈ જોઈએ આ ઉપરાંત સિટી બસના સંચાલકોએ પણ કોરોના સહિત ટ્રાફિકના વિવિધ નિયમોનું પાલન કરવું જોઈએ.

આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે સરકારે નક્કી કરેલા 9 રુટ પર જ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ચાલુ જ રહેશે.રિક્ષા ચળકોના પ્રશ્નો બાબતે તેઓ સાથે ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે.

Tags:    

Similar News