ભરૂચ : દહેજની વેલ્સપન કંપની સામે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતા નડ્યો અકસ્માત; એક કામદારનું મોત

વેલ્સપન કંપનીના બે કામદારો સવારે બાઇક ઉપર સવાર થઈ વાગરાના ત્રાંકલથી કંપની સ્થળે વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા ત્યારે કડોદરા પાસે બે બાઇકો સામ સામે અથડાઇ હતી

Update: 2021-06-27 09:56 GMT

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપનીએ પ્લાન્ટને બંધ કરી 120 અધિકારીઓની અન્ય પ્લાન્ટમાં બદલીઓ કરી દીધા બાદ 400 કામદારોને પેહલા વર્ક ફ્રોમ હોમના ઓર્ડર અને બાદમાં 2 દિવસમાં જ ટપાલ મારફતે અંજાર પ્લાન્ટમાં ટ્રાન્સફરના ઓર્ડરો કરી દેતા વિરોધ આંદોલન ફાટી નીકળ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી 400 જેટલા કામદારો કંપની ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવા સાથે કલેકટર તેમજ વાગરાના ધારાસભ્યને પણ રજૂઆતો કરી ચૂક્યા છે. હજી સુધી કામદારોના બદલી સામે વિરોધનો કોઈ નિવેડો આવ્યો નથી અને કામદારોનું આ આંદોલન તેમજ વિરોધ પ્રદર્શન જારી છે.

ત્યારે આજરોજ દહેજની વેલ્સપન કંપનીના બે કામદારો સવારે બાઇક ઉપર સવાર થઈ વાગરાના ત્રાંકલથી કંપની સ્થળે વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા ત્યારે કડોદરા પાસે બે બાઇકો સામ સામે અથડાઇ હતી અને બે કામદારોને ઇજાઓ પહોંચતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કામદાર કલ્પેશ ધનજીભાઈ ગોહિલને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કામદાર કલ્પેશનું મૃત્યુ નિપજતા સાથી કામદારો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે અરવિંદ ભીખાભાઈ સોલંકીને ઇજા પહોંચી હતી. મૃતક કામદારના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News