સુરેન્દ્રનગર : લખતર નજીક માર્ગ પર રોઝ પ્રાણી સાથે બાઇક અથડાતા 2 પોલીસકર્મીના મોત, પોલીસ બેડામાં ગમગીની...
મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક ફરીથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લખતરના ઝરમ ગામ નજીક માર્ગ પરથી 2 પોલીસકર્મીઓ બાઇક ઉપર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગમાં રોઝ પ્રાણી આવી જતા બાઇકને ટક્કર વાગતા બન્ને પોલીસકર્મીઓના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, લખતરના ઝરમ ગામ નજીક રોડ પરથી શંકર ઓલકિયા અને સરદેવ ગળથરા નામના 2 પોલીસકર્મીઓ બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝ પ્રાણી આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બન્ને પોલીસકર્મીઓના ગંભીર ઇજાના પગલે કરૂણ મોત થયા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.