જંબુસર : સિંચાઇના પાણી માટે ખેડૂતોનો પોકાર, 1,300 એકર જમીનમાં પાકને ખતરો

Update: 2020-02-15 11:08 GMT

રાજયભરમાં નહેરખાતાની લાલીયાવાડીના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહયાં છે. કેનાલના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે કેનાલો તકલાદી હાલતમાં છે અને કેટલીય જગ્યાએ તો આજદિન સુધી કેનાલમાં પાણી આવ્યું નથી. જુઓ અમારો વિશેષ અહેવાલ જગતના તાતની પોકાર

ગત વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. અતિવૃષ્ટિથી આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો શિયાળુ પાક થકી નુકશાન સરભર કરવાની ગણતરીમાં હતાં પણ નહેર ખાતાની લાલીયાવાડીએ તેમની ગણતરી ખોટી પાડી છે. ખેતરોમાં પાકને સિંચાઇના પાણીની જરૂર છે પણ કેનાલમાં પાણી જ આવતું નથી. વાત કરવામાં આવે જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની. ગામના મોટાભાગના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલાં છે. માથે દેવું કરીને પણ તેમણે ખેતરોમાં વિવિધ પાકનું વાવેતર કર્યું છે. સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ તેઓ કરતાં આવ્યાં છે પણ સરકારી બાબુઓને તેમની રજૂઆત સંદર્ભમાં કાર્યવાહી કરવામાં રસ ન હોય તેમ લાગી રહયું છે. પાણીના અભાવે 1,300 એકર જેટલી જમીનમાં વાવેતર કરાયેલો પાક નિષ્ફળ જાય તેવી શકયતાઓ વધી જતાં જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. કેનાલમાં પાણી નહિ છોડાઇ તો તેઓ આંદોલન કરવાના મિજાજમાં દેખાઇ રહયાં છે.

Tags:    

Similar News