અંકલેશ્વર : નેશનલ હાઇવે પર આવેલાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા તાપી હોટલની બાજુમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં કયાં કારણોસર આગ લાગી તે હજી જાણી શકાયું નથી. આગમાં કોઇ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો લીધો હતો.
અંકલેશ્વર ,પાનોલી,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓમાં અવાર નવાર આગની ઘટનાઓ બનતી હોય છે. કેમિકલ ઝોન હોવાથી ભરૂચ જિલ્લામાં ફાયર સેફટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે. રાજયમાં ફાયર સેફટીના નવા કાયદા વચ્ચે અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48ને અડી આવેલાં ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં ડી.પી.એમ.સી. ,નોટિફાઈડ અને પાનોલીથી પાંચ થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલા પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ સહિતનો ભંગાર બળીનેરાખ થઇ ગયો હતો. આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.