અંકલેશ્વર : સુરતી ભાગોળ વિસ્તારમાં ઝુંપડામાં આગ, સ્થાનિકોની સતર્કતાથી જાનહાનિ ટળી
ભરૂચ જિલ્લામાં 24 કલાકના ટુંકા ગાળામાં આગના બે બનાવો બન્યાં હતાં. મંગળવારે રાત્રે નેશનલ હાઇવે પર આવેલી હોટલ ન્યાયમંદિર ભડકે બળી હતી જયારે બુધવારે વહેલી સવારે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં એક ઝુંપડામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
અંકલેશ્વરના વોર્ડ નંબર ૮ માં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં ગરીબ પરિવારો ઝુંપડા અને કાચા મકાનો બાંધી વસવાટ કરે છે. બુધવારની વહેલી સવારે અગમ્ય કારણોસર એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી. લાકડા અને પ્લાસ્ટિકના સામાને આગ પકડી લેતા જોતજોતામાં ત્રણથી ચાર જેટલાં ઝૂંપડાં આગની ચપેટમાં આવી ગયા હતાં.
ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આજુબાજુના વિસ્તારમાં મોટી માત્રામાં ઝૂંપડાઓ હોય આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી નગરપાલિકાની પાણીની પાઇપ લાઇન થકી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યા હતાં. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં જ આગના બે બનાવો બની ગયાં હતાં.