ભરૂચ : ચોમાસામાં બિસ્માર બનેલાં રસ્તાઓ માંગી રહયાં છે મરામત, પાલિકા કયારે જાગશે
ભરૂચમાં રસ્તાઓના રીપેરીંગ માટે 5 કરોડ રૂપિયા ઉપરાંતની ફાળવણી કરવામાં આવી હોવા છતાં મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હોવાની ફરિયાદો ઉઠી છે.
ભરૂચમાં વરસાદના કારણે શહેરના તમામ માર્ગો બિસ્માર બની ગયા હતાં. જેના કારણે માર્ગની મરામત કરાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી પણ ભરૂચ નગરપાલિકામાં થઈ હતી પરંતુ આ ફાળવણી માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય તેવા આક્ષેપો થયા છે. ભરૂચના કેટલાય વિસ્તારો આજે પણ પેચિંગ વકૅથી વંચિત રહેતા અનેક માર્ગો વાહનચાલકો માટે અકસ્માતનું ઝોન બની ગયા છે ત્યારે પેચિંગ વર્કમાં પણ ગોબાચારી થઇ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ભરૂચ શહેરના તમામ માર્ગોની મરામત માટે માત્ર પેચિંગ વર્ક કરવા માટે પાંચ કરોડ ઉપરાંતની ફાળવણી થઇ હતી અને કેટલાય વિસ્તારોમાં પેચિંગ કરવામાં પણ આવ્યું છે પરંતુ આજે ઘણા વિસ્તારો પેચિંગ વકૅથી વંચિત હોય તેવા અહેવાલો સામે આવ્યા છે જેમાં ભરૂચના સોનેરી મહેલથી કોઠીરોડ વડાપડા રોડ કતોપોર ફાટા તળાવ સહિતના અનેક જાહેર માર્ગોઉપર પેચિંગ કરવામાં આવ્યું નથી જેના કારણે મસમોટા ખાડાઓ પડી જવાથી રોડ ઉપર રઝળતી કપચીઓ ઉડીને વાહનચાલકોને ઇજા પહોંચાડી રહી છે.