જો, આપ સોલાર રુફટોપ લગાવવા માંગો છો, તો ચેતી જજો... જુઓ, આપની સાથે પણ થઈ શકે છે આવી છેતરપિંડી..!
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોલાર રુફટોપના નામે લેભાગુ સોલાર કંપની દ્વારા છેતરપીંડીની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં સોલાર ફિટ કરાવવાના નામે 960 જેટલા લોકો પાસેથી 10 હજાર એડવાન્સ પેટે ડિપોઝીટ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. લેભાગુ સોલાર કંપની વિરુદ્ધ પોલીસે રૂપિયા 1.5 કરોડની છેટેરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સરકાર દ્વારા ઉર્જાના બચાવ અને ઉત્પાદન માટે મહત્વકાંક્ષી સોલાર રુફટોપ યોજના અમલમાં મૂકી લોકોને સોલાર રુફટોપ ફિટ કરાવવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકારના ઉર્જા વિભાગ દ્વારા જ અધિકૃત કરાયેલ લેભાગુ સોલાર કંપની સરકારની યોજના પર જાણે પાણી ફેરવી રહી હોય તેવી ફરિયાદ ઉઠી છે. વેરાવળના હરેશ ધ્રાંગડ દ્વારા એક વર્ષ પૂર્વે તેમના રહેણાંક મકાન પર સોલાર રુફટોપ માટે અરજી કરેલ અને ઉર્જા વિભાગ દ્વારા અધિકૃત સનસાઈન સોલાર સોલ્યુશન પ્રા. કંપનીને રૂ. 10 હજાર એડવાન્સ પેટે આપ્યા હતા.
સમગ્ર મામલે સનસાઈન સોલાર કંપની સામે ગુજરાતભરમાં સુરત અને વડોદરા સહિતના અનેક શહેરોમાં ફરિયાદો ઉઠી છે. જેમાં અંદાજે 960 લોકોના કુલ 1.5 કરોડ રૂપિયા સલવાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સરકારના ઉર્જા વિભાગ અને કંપની દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી હેરાન થતાં ફરિયાદીએ સરકાર અને સંલગ્ન વિભાગો અનેક ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વેરાવળ પોલીસ મથકે સનસાઈન સોલાર કંપની વિરુદ્ધ છેતરપીંડીની લેખિત ફરિયાદ નોંધાવી છે.