ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠર્યું: મોદી શાહના આદેશ બાદ નારાજ મંત્રીઓ માની ગયા !
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં નારાજગી અને અસંતુસ્તના સૂર આજે સવારથી જ બદલાઈ ગયા હતા અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠરે એવો માહોલ જોવા મળ્યો હતો.
ગઈકાલે દિવસ દરમિયાનની અટકળો વિરોધ અને અફવાઓ બાદ મધરાતે ભાજપ હાઈકમાંડ અને ગુજરાત આવેલા હાઈકમાન્ડના દૂત સાથે સતત ચર્ચાઓ બાદ નારાજ મંત્રીઓને કડક શબ્દોમાં કહીં દેવાયું કે, ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ. આ આદેશને પગલે ગુજરાત ભાજપનો ઉકળતો ચરૂ સવારથી શાંત થઈ ગયો હતો.
ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામુ શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળીયા એવા ભૂપેન્દ્ર પટેલને મુકવામાં આવતા સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી. ત્યારબાદ ગઈકાલે આખો દિવસ જૂના મંત્રીઓમાંથી એકપણને રિપિટ નહીં કરાય તેવી વાતો વહેતી થતા સિનિયર મંત્રીઓએ મંત્રીપદ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા.
આ મામલે ગુજરાત આવેલા ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરી હતી. ત્યારબાદ મોડી સાંજે ભાજપે નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવા માટે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી. તેમ છતા કેટલાક મંત્રીઓએ પોતાના સમાજ અને જ્ઞાતિના જોરે મંત્રીપદ મેળવવા માટે વડાપ્રધાન સુધી રજૂઆતો અને પત્રો લખ્યા હતા. એટલું જ નહીં ભાજપના સિનિયર આગેવારો સમક્ષ ધમકીની ભાષામાં પણ રજૂઆતો કરી હતી.