ડાંગ જિલ્લાને નવા સરકારી આવાસો તથા નવનિર્મિત વિશ્રામ ગૃહની ભેટ…
સરકારી અધિકારીઓ માટેના નવનિર્મિત આવાસો, તથા પ્રવેશ દ્વારા વઘઇ ખાતે તૈયાર કરાયેલા નવા વિશ્રામગૃહની જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ માટેના નવનિર્મિત આવાસો, તથા પ્રવેશ દ્વારા વઘઇ ખાતે તૈયાર કરાયેલા નવા વિશ્રામગૃહની જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે.
રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી તથા જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલના હસ્તે નવનિર્મિત આવાસો તથા નવા વિશ્રામગૃહની લોકાર્પણ કરાશે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર, તા. ૨૬/૦૩/૨૦૨૨ના રોજ બપોરે ૦૩:૦૦ વાગ્યે આહવા સ્થિત જવાહર કોલોની ખાતે રૂ. ૮૬૭.૯૦ લાખના ખર્ચે તૈયાર થયેલ "સી" કક્ષાના સરકારી આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે, જ્યારે ૪:૦૦ વાગ્યે વઘઇ ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે રૂ. ૧૦૦.૦૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત વિશ્રામગૃહનું પણ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ થશે. આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત તથા સાંસદ ડૉ.કે.સી.પટેલ, અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવો, અને જિલ્લાના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.