રાજ્ય સરકારનો કૃષિલક્ષી નિર્ણય, લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરાશે : કૃષિ મંત્રી
ગુજરાતના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરવામાં આવેશે તેવું રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવી ને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમાં થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી. આટલે થી જ ન અટકતા તેઓએ સતત કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કરેલ હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે 4,65,000 મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે. રાજ્યના ખેડૂતો માટે આ નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદોનો ખેડૂતો વતી ખૂબ આભાર માન્યો હતો. સાથે જ રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.