Connect Gujarat
ગુજરાત

વડોદરા: નારેશ્વર નજીક નર્મદા નદીમાંથી પેટ્રોલપંપના માલિકના પુત્રનો મળ્યો મૃતદેહ

ભરૂચના ઉમલ્લાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું.

વડોદરા: નારેશ્વર નજીક નર્મદા નદીમાંથી પેટ્રોલપંપના માલિકના પુત્રનો મળ્યો મૃતદેહ
X

કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાથી ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામના રહેવાસી અને પેટ્રોલ પંપના માલિકના પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મરનારની બિનવારસી કાર પણ મળી આવી છે. રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મૃતદેહ અંગે તપાસ કરવામાં આવતા આ મૃતદેહ ભરૂચના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ સંચાલક અશ્વિનપટેલના 35 વર્ષીય પુત્ર મયંક પટેલનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં તેઓને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મૃતક મયંક પટેલની એસ.યુ.વી.કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી.

રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે તારીખ 1 જુલાઈ ના રોજ મયંક પટેલ વડોદરાથી ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો દરમિયાન તેનો મૃતદેહ પોઇચા બ્રિજ પાસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.મયંક પટેલે આપઘાત કરી લીધો છે કે પછી તેની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી છે તે જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Next Story