સંતૃપ્ત ધરતી પર પણ જળ સંકટના એંધાણ
વોટર વર્કસ ડેમનું લેવલ ઘટતા સર્જાશે જળ સંકટ
રોટેશન મુજબ પાણી ન મળતા શહેરીજનોને મુશ્કેલી
ડેમમાં 20 દિવસ સુધી ચાલે એટલો જ પાણીનો પુરવઠો
નગરપાલિકા દ્વારા પાણી સંકટને પહોંચીવળવા માટેના પ્રયાસ
વલસાડ જિલ્લાના વાપીથી તાપીને પરશુરામની ધરતી કેહવાઈ છે,અને આ ધરાને સંતૃપ્ત ધરતી પણ કહેવામાં આવે છે.પણ ધીરે ધીરે આ વિસ્તારને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.પાણીનું રોટેશન ન આવતા વલસાડ શહેરને પાણી પૂરું પાડતા વોટર વર્કસ ડેમનું લેવલ ઘટી ગયું છે.જેના કારણે શહેર પર જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે.
વલસાડ શહેરમાં પહેલા ક્યારેય પાણીની મોટી સમસ્યા સર્જાઈ નથી.જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ડિસેમ્બર મહિના બાદ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રોટેશન પદ્ધતિ થી જે પાણી વલસાડને મળવાનું હતું એ હાલ નહિ આવતા વોટર વર્કસ ડેમનું લેવલ ઘટી ગયું છે.જેને લઈને વલસાડની પ્રજા પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે અને વલસાડના લોકોને એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય પાલિકાએ હાલ લેવો પડ્યો છે.સ્થિતિને જોતા ખુદ પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્કસ ડેમની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.સાથે જ અંબિકા નહેરના અધિકારીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દેવામાં આવી છે,અને વહેલી તકે રોટેશન નું પાણી મળે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલ ડેમમાં 28.5 એમ.એલ.ડી જેટલો પાણીનો જથ્થો છે.જે માત્ર 20 થી 22 દિવસ સુધી શહેરને પાણી આપી શકે તેવી સ્થિતિ છે.જેના કારણે વલસાડ પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.
હાલ તો રોટેશન મુજબનું પાણી અંબિકા નહેર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે,રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલું રોટેશનનું પાણી આવી ચૂક્યું હોવાનું ચીફ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે. છ થી સાત દિવસ જેટલા સમયગાળામાં વધુ રોટેશનનું પાણી આવશે અને ડેમમાં 48.5 એમ.એલ.ડી જેટલું પાણી આવી જશે,તે સમયથી શહેરને બે ટાઈમ પાણી આપવાનું નક્કી કરવામાં આવશે અને પાણી કાપ દૂર કરવામાં આવશે,તેમ પાલિકાના ચીફ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે.