નવસારી : ગણદેવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એક વર્ષથી અધુરી
ગરીબોને આવાસ મળે તે માટેની પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ગણદેવીમાં ખોરંભે ચઢી હોવાની ફરીયાદો ઉઠી છે. આવાસો બનાવવાનું કામ કોન્ટ્રાકટરે અધુરુ મુકી દેતા લાભાર્થીઓ આવાસ કયારે બને તેની રાહ જોઇ રહયાં છે.
નવસારીના ગણદેવી શહેરમાં કસ્બાવાડીમાં બનતા આવાસ માટે સાડા ત્રણ લાખ અને બે માળના આવાસ માટે સાત લાખ જેટલી માતબર સહાય તો આપવામાં આવી છે પરંતુ આવાસના હેતુને કચડી નંખાયો હોય એવી દશા આવાસોની જોવા મળી રહી છે.
છેલ્લા દોઢ વર્ષથી અધૂરા આવાસોએ ગરીબ હળપતિઓને ભારે હાલાકીમાં મુકી દીધા છે. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પારાવાર યાતનાઓ આ લાભાર્થીઓ વેઠી રહયાં છે. આદિવાસી હળપતિઓને ટોપી પેહરાવતા કોન્ટ્રાક્ટરોએ આવાસ અધૂરા મુક્યા છે.
ગણદેવી શહેરના ગરીબોને ઘર નું ઘર મળે એ માટે રાજ્ય સરકારે 138 આવાસો માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે પરંતુ કોન્ટ્રાકટર અધૂરું કામ છોડીને ગરીબોને રસ્તે રજડાવી રહ્યા છે સરકારી રૂપિયા કોન્ટ્રાકટરને આપી દીધા બાદ પણ ગરીબો તકલીફમાં જીવી રહયાં છે. ગણદેવી પાલિકા પણ માત્ર સ્થળ પર જઈને આશ્વાસન આપવા સિવાય માર્ગ શોધી શકી નથી. આવાસોનું ભંડોળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જમા થતા હતાં. જેમાં કૌભાંડ થતા સીધા લાભાર્થીઓના ખાતામાં સહાયની રકમ જમા થઈ રહી છે જેમાં પણ કટકી ખવાતી હોય એવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.