સુરત : કોરોના વોરિયર્સની સેવાઓને બિરદાવવાનો અનોખો પ્રયાસ, તમે પણ જુઓ
દેશમાં માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના કહેરમાં અત્યાર સુધી હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયાં છે જયારે તબીબો સહિતના કોરોના વોરિયર્સ દર્દીઓની સારવારમાં લાગેલાં છે. આવા સંજોગોમાં કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
દેશ સહિત દુનિયાને હચમચાવનાર કોરોના વાયરસના કાળને આજે છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. માર્ચ મહિનાથી દેશમાં લાગુ પડેલા લોકડાઉન અને અનલોક પછી આજે જનજીવન પૂર્વવત થયુ છે. ત્યારે સુરતની એક સંસ્થા લેખન યાત્રા.કોમ દ્વારા કોરોના વોરિયર્સને અનોખું સન્માન આપવામાં આવ્યું છે. ગુજરાતનું સૌપ્રથમ ૧૮ હજાર શબ્દોમાં લેખનયાત્રા.કોમ દ્વારા હસ્તલિખિત એટલે કે હાથેથી લખાયેલું તેમજ હસ્તચિત્રિત એટલે કે પુસ્તકમાં હાથેથી દોરાયેલા ચિત્રો અને કોરોના વોરિયર્સના સત્ય પ્રસંગ પર આધારિત એક મહાગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, પુસ્તકનું નામ "અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ" રાખવામાં આવ્યું છે. નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ મહાગ્રંથની સ્કેન કરેલ પુસ્તિકા ગુજરાતના પ્રત્યેક કોરોના વોરિયર્સને સમર્પિત કરવામાં આવી છે તેમજ તેમને વિનામૂલ્યે પણ આપવામાં આવશે. હસ્તલિખિત આ મહાગ્રંથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અર્પણ કરવામાં આવશે.