Connect Gujarat
Featured

અંકલેશ્વર : સુરતના સોનાના વેપારી સાથે 3 ગઠિયાઓએ કરી છેતરપિંડી, રૂ. 11 લાખના બિસ્કિટ અંગે નોંધાઈ ફરિયાદ

અંકલેશ્વર : સુરતના સોનાના વેપારી સાથે 3 ગઠિયાઓએ કરી છેતરપિંડી, રૂ. 11 લાખના બિસ્કિટ અંગે નોંધાઈ ફરિયાદ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલના પાર્કિંગ નજીક સુરતના સોનાના વેપારી પાસેથી રૂપિયા 11 લાખના બિસ્કિટ ખરીદી 3 ગઠિયાઓએ પૂરું પેમેન્ટ ન ચૂકવાતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ માછીવાડમાં રહેતા રાજેન્દ્ર રેતીવાલા કમિશન પેટે સોનાના બિસ્કિટનું વેચાણ કરે છે. જેઓ પાસે અગાઉ અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારમાં રહેતા મોહંમદ હુસેન ઉર્ફે મુન્ના શેરૂ કુરેશીએ 3 વાર સોનાના બિસ્કિટની ખરીદી કરી હતી. જે બાદ ફરી તેઓએ 100-100 ગ્રામના બિસ્કિટ ખરીદી કરવા અંગે ફોન કરી વેપારીને અંકલેશ્વર બોલાવ્યા હતા.

જોકે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કાઠિયાવાડી હોટલના પાર્કિંગ પાસે વેપારીને લઈ જઈ સોનાના બિસ્કિટના 11 લાખ આપવાનું જણાવ્યુ હતું. જેઓ અન્ય 2 અજાણ્યા ઇસમો સાથે આવી તેઓને રૂપિયા ભરેલ બેગ આપી અહિયાં લૂંટની ઘટનાઓ વધુ બનતી હોવાનું જણાવી બેગ ઘરે જઈને ખોલવા કહ્યું હતું.

જે અંગે વેપારીને શંકા જતાં તેઓએ માર્ગમાં જ બેગ ખોલીને જોતાં તેમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટોના 13 બંડલ મળી કુલ 12 હજાર રૂપિયા જોવા મળ્યા હતા. જેથી મોહંમદ હુસેન ઉર્ફે મુન્ના શેરૂ કુરેશી સહિત અન્ય 2 ગઠિયાઓએ રૂપિયા 10.97 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું જણાતા વેપારી રાજેન્દ્ર રેતીવાલાએ 3 ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ તો સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story