અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનું આજે સીએમના હસ્તે લોકાર્પણ

ગુજરાત હાઈકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનને સોમવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. કાયદા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૩૯ કરોડના ખર્ચે બનાવાયેલું આ ભવન સાચા અર્થમાં રાજ્ય સુશાસનની યશકલગી સમાન પુરવાર થશે. સુપ્રીમ કોર્ટના ન્યામૂર્તિ. આર.સુભાષ રેડ્ડી તથા ન્યાયમૂર્તિ. એમ. આર. શાહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાથી સુવિધાઓમાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતા સમયના પગલે તેમાં માળખાકીય સુવિધાઓમાં બદલાવની આવશ્યકતા હતી.
નવું કાયદા ભવન વિશાળ બેઠક વ્યવસ્થા, અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી સભર બનાવાયું છે. તેમાં કોન્ફ્રરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડીશનલ-ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારિઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરવામાં સુલભતા વધશે. ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં બનાવાયેલ આ કાયદા ભવનનો લોકાર્પણ સમારંભ સાંજે 6 કલાકે યોજાશે. જેમાં હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંતભાઇ એસ. દવે, રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, તથા કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ બી.ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે જાની, ગવર્મેન્ટ પ્લીડર મનીષાબેન લવકુમાર, પબ્લિક પ્રોસીક્યુટર મિતેષ અમીન, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ મિલન દવે સહિતના મહેમાનો હાજર રહેશે.