સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં આયોજન કરાયું
સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન
સિંહ સરંક્ષણ અંગેના 2 પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું
દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સની પણ વિશેષ ઉપસ્થિતી
જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહ સરંક્ષણ વિષય અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુકત ઉપક્રમે સૌપ્રથમવાર જુનાગઢના સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના દરમ્યાન સિંહ સરંક્ષણ વિષય અંગેના 2 પ્રકાશનોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સિંહ સરંક્ષણ વિષય અંગે રાજ્યના વનમંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં સિંહની વસ્તી, પ્રજાતિઓની પુનઃ પ્રાપ્તિ, સંશોધન, પડકારો અને નિતિ વિષયક બાબતો પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. વનમંત્રી મુળુ બેરાએ જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે ખૂબ મોટાપાયે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
અમરેલીના જાફરાબાદ રેન્જમાં વાયરસના કારણે 3 સિંહબાળના મૃત્યુ થયા છે. જોકે, આ સમૂહના અન્ય 6 સિંહબાળ અને 3 સિંહણ પર વન વિભાગની દેખરેખ છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ત્યારે આવા સિંહબાળને બચાવવા મુશ્કેલ થતાં હોય છે, ત્યારે વન વિભાગના વેટરનરી ડોક્ટરની ટીમે આ સમૂહના બાળસિંહના બ્લડ સેમ્પલ લીધા છે. વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અને રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહ પર દેખરેખ રાખવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ જણાવ્યુ હતું કે, સાસણ ગીરમાં ભારણ વધી રહ્યું છે, લોકોને સિંહ દર્શન માટે જગ્યા નથી મળતી, ત્યારે આવા સમયે બરડાની શરૂઆત થતાં સાસણનું ભારણ ઘટશે. બરડા સિવાય અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સથી સિંહ સંરક્ષણ માટે વધુ મજબૂતીથી કામ થશે અને તેના સારાં પરિણામો જોવા મળશે. આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો તેમજ દેશ-વિદેશના 160થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.