અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની વરણી કરી દેવામાં આવી છે. દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણને એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવાયાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનો નેતા નકકી કરવામાં મોવડીમંડળને નવ નેજા પાણી આવી ગયાં છે. દાણીલીમડા વોર્ડના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણને આગામી એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા જ્યારે નીરવ બક્ષીને વિપક્ષના ઉપ-નેતા અને વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરાય છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ
'લડકી હું લડ સકતી હૂ' ના નામે એક વીડિયો પ્રિયંકા ગાંધીને મોકલીને શહેજાદ ખાન પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો છે. શહેજાદખાન પઠાણની વરણીનો વિરોધ કરી રહેલાં કોંગ્રેસના જ કોર્પોરેટરોને શિસ્તભંગની નોટીસ આપવામાં આવી છે. તેમની પાસે 7 દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના યુવા કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ છે.
આ પહેલાં 9 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેજાદખાન પઠાણની નિયુક્તિ કરવાના નિર્ણયને પગલે કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ આપેલા રાજીનામાં આપી દીધા હતા, જેને કોંગ્રેસે ગંભીર નોંધ લીધી હતી. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખે નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરી, બહેરામપુરાનાં કોર્પોરેટર કમળા ચાવડા અને જમના વેગડા, સરખેજના હાજી મિર્ઝાને પ્રદેશ કાર્યાલય બહાર આપેલા નિવેદનને પગલે કોંગ્રેસ શિસ્ત સમિતિએ ચારેય કોર્પોરેટરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.