અમદાવાદ શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જાળવવાનું કાર્ય પોલીસ કરે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ કોર્પોરેટરની જ ફરિયાદ ન સાંભળે તો પછી પ્રજાનું તો શું થવાનું ? આવું જ બન્યું છે અમદાવાદમાં. પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી ન હોવાના આક્ષેપ હેઠળ અમદાવાદના કોંગી કાઉન્સિલર ધરણા પર બેઠા હતા
બહેરામપુરાના કોંગ્રેસના કાઉન્સિલર કમળાબેન ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અસામાજિક તત્વો દ્વારા કાઉન્સિલર પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ અસામાજિક તત્વો દ્વારા વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. કમળાબેન આક્ષેપ લગાવતા વધુમાં જણાવ્યું કે દાણીલીમડા પોલીસ દ્વારા મારી ફરિયાદ લેવામાં આવતી નથી.ઇમરાન બુલેટ રાજા નામના ઈસમ દ્વારા મને સતત ધમકી આપવામાં આવી રહી છે. ત્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી હું ધરણા પર બેસીશ તેમ જણાવ્યું હતું. સાથે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ રાજકીય પ્રેશરને કારણે કાર્યવાહી કરતા નથી કમળાબેન જણાવ્યું કે છેલ્લા એકાદ વર્ષથી અસામાજિક તત્વો હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે.
મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી કાઉન્સીલર તરીકે ફરજ બજાવું છું. વારે ઘડીએ મારા માટે સોશિયલ મીડિયામાં જેમ ફાવે તેમ લખે છે. મારા ફોટા સાથે વીડિયો પણ મૂકીને મારા વિરુદ્ધમાં ફાવે તેમ લખવામાં આવે છે. બપોરે એક વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હું બેસી રહી પરંતુ મારી ફરિયાદ લેવામાં આવતી નથી. તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ મારી ફરિયાદ લખી રહી હતી પરંતુ કોઈ નો ફોન આવ્યો અને મારી ફરિયાદ લખવાનું બંધ કર્યું હતું .