ભરૂચની નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે કાંઠા વિસ્તારોમાં ખેતીનો દાટ વળી ગયો છે ત્યારે ઝઘડીયા તાલુકાના ખેડુતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે. ખેડુતોએ આ સંદર્ભમાં કલેકટરને આવદનપત્ર આપી રજુઆત કરી છે.
ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે અતિવૃષ્ટિ અને નર્મદા નદીમાં પૂરના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. નર્મદા નદીના પુરના પાણી અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોની હજારો હેકટરમાં વાવેતર કરાયેલો પાક ધોવાય ગયો છે.ખેડૂતો કોરોના કાળ વચ્ચે સરકારી દેવા ચૂકવી શકે તેમ નથી. બિયારણ, મહેનત અને મજૂરી પર પુરના પાણી ફરી વળ્યાં છે. હવે ખેડૂતોને બેઠા થવા તેમજ નવું બિયારણ ખરીદી ફરીથી વાવણી કરવા માટે પણ નાણાં રહ્યા નથી. આ ઉપરાંત સિંચાઇ માટે વીજળી પણ મળવી મુશ્કેલ બની છે કારણ કે પુરના કારણે ટ્રાન્સફર્મરોને પણ નુકશાન પહોંચ્યું છે. પાયમાલ બનેલા ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ સોમવારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને પ્લે કાર્ડ સાથે રજુઆત કરી આર્થિક નુકશાની વળતર ચૂકવવા સાથે તમામ દેવા માફ કરવા માગણી કરી છે.