અંકલેશ્વર : પાનોલી GIDC-ઉમરવાડા વચ્ચે નિર્માણ પામેલો બ્રિજ જોઈ રહ્યો છે ઉદ્ઘાટનની રાહ : યુવા કોંગ્રેસ

જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDC અને ઉમરવાડા સહિતના ગામોને જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે

Update: 2023-03-21 11:19 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDC અને ઉમરવાડા સહિતના ગામોને જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા SDM કચેરી અંકલેશ્વર ખાતે આવેદન પત્ર આપી બ્રિજને લોકો માટે ખુલ્લો મુકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકામાં આવેલા ઉમરવાડા તેમજ પાનોલી જીઆઇડીસીને જોડતા માર્ગ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ રવિદ્રા, પાનોલી, ઉમરવાડા, આલોજ અને કરમાલી સહિતના ગ્રામજનોને પાનોલી જીઆઇડીસીમાં અવવા-જવા ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવો છે. જોકે, આ બ્રિજનું કામ પૂર્ણ થતાં છેલ્લા કેટલાક સમયથી બનીને તૈયાર થઈ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, ત્યારે પ્રજાને હાલાકી ભોગવવી ન પડે અને પ્રજાની સુખાકારી માટે આ બ્રિજ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ SDM કચેરી અંકલેશ્વર ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ રાજકીય આગેવાનો પાસે સમયનો અભાવ હોવાના કારણે આ બ્રિજનું હજી સુધી ઉદ્ઘાટન થયું નહીં હોવાનો પણ યુવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની યુવા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News