અંકલેશ્વર : સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત, દુષપ્રેરણાના ગુન્હામાં પતિ અને સાસુ-સસરાની ધરપકડ...

દીકરીના આપઘાત મામલે પતિ સાબિર, સસરા શબ્બીર અને સાસુ જાહિદાબેન સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો

Update: 2023-05-16 13:03 GMT

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતા અહેમદ કુરેશીની 7 દીકરીઓ પૈકી ત્રીજા નંબરની દીકરી પરવીનના નિકાહ સમાજના રીતિ રિવાજ મુજબ ગત 2022ની તા. 2 ઓક્ટોબરના રોજ થયા હતા. ભાટવાડ દરગાહની બાજુમાં રહેતા સાબિર શેખ સાથે પરવીનનો લગ્ન સંસાર 4 મહિના સુધી જ સુખમય ચાલ્યો હતો. પરિણીતાને સંતાન થતું ન હોય, જેથી પતિએ પોત પ્રકાશી મારઝૂડ શરૂ કરી હતી. સસરા શબ્બીર ઉર્ફે લાલુ અને સાસુ જાહિદાબેન પણ વાંઝીયન કહી ત્રાસ આપવા લાગ્યા હતા, જ્યારે પતિ “તું મને પસંદ નથી, હું બીજી પત્ની લાવી સંતાનો પેદા કરીશ” કહી અવારનવાર માર મારતો હતો.

જે અંગે પરિણીતાએ પિતા અને માતાને પણ જાણ કરી હતી. જોકે, આ મામલે 3 વખત સમાજને વચ્ચે રાખી સમાધાન કરાવાયું હતું, ત્યારે તા. ગત 12 મેના રોજ પરવીને માતાને ફોન કરી પતિએ ફરી મારઝૂડ કરી હોવાનું અને સાસરિયા “તું મરી જા કહેતા” હોવાની વેદના કહી હતી. આ વચ્ચે ગત તા. 13 મેના રોજ સાસરિયાઓએ ફોન કરી તેમની દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું કહ્યું હતું. પિતા અહેમદભાઈએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે દીકરીના આપઘાત મામલે પતિ સાબિર, સસરા શબ્બીર અને સાસુ જાહિદાબેન સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો, ત્યારે પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News