ભરૂચ : થામ ગામે વીજ કરંટ લાગતાં 4 પશુઓના મોત, વીજ કંપનીની બેદરકારી સામે પશુપાલકોમાં રોષ

તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Update: 2022-06-16 12:22 GMT

ભરૂચ તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.બનાવના પગલે પશુપાલકો વળતરની માગ સાથે પોલીસ મથકે પહોચ્યા હતા.

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે કેટલાય સ્થળોએ વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ પણ બની હતી. જેના પગલે ભરૂચ તાલુકાના થામ ગામે રેલ્વે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઇનો તૂટી પડતાં નજીકથી પસાર થતા 4 જેટલા પશુઓને વીજ કરંટ લાગતા મોત થયું હતું. જોકે, વીજ વાયરો તૂટી પડવાની ઘટનામાં પશુપાલન કરી રહેલા ગોવાળિયાઓ બચી ગયા હતા. પરંતુ પશુઓના મોત થતાં પશુપાલકોને આર્થિક મોટો ફટકો વેઠવાનો વારો આવ્યો છે. જેથી પશુપાલકોએ તંત્રની ગંભીર બેદરકારી સામે પોતાના પશુઓ ગુમાવ્યા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. જીઈબીની ગંભીર બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ જીઈબી કચેરી અને પોલીસ મથકે પહોચી વળતરની માગણી કરી હતી. પશુ ગુમાવનારા પશુપાલકો પોતાના દીકરા ગુમાવ્યા હોય તેવો અનુભવ કરી હૈયાફાટ રૂદન કરતા ગમગીની ફેલાઇ હતી.

Tags:    

Similar News